Search This Blog

Monday, 4 December 2023

ભગવાનનો પત્ર

ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે

તમે કરોડો છો
ને હું એક છું

મારે શાંતિ થી રહેવું હોય
પણ.....

તમારે મંગળા આરતી
કરવી હોય એટલે મને 
વાઘાં પહેરાવી અને બાબલા ની જેમ તૈયાર
કરી દો છો....

ભોગ મને ધરાવો છો
અને આરોગો છો પોતે...!

જે દિવસે એક જલેબી 
ચાખીશ....એ દિવસથી
પ્રસાદ ધરાવવાનું બંધ 
થઈ જશે....
તે જાણું છું

લગ્ન નથી થતાં
તે મંગળફેરા માંગે છે

સંતાન નથી
તે ઘોડિયું માંગે છે

કોઈને નોકરી જોઈએ છે
તો કોઈને છોકરી

માબાપ ખાસ કોઈને
જોઈતાં નથી
પણ મિલકત
બધાંને જોઈએ છે

કોઈ કમાવા માંગે છે
તો કોઈ ચોરી કરવા 
માંગે છે...

કોઈને બજાર ઊંચું લઈ 
જવું છે તો કોઈને મફતનું
જોઈએ છે....

કોઈ રોટલો માંગે છે
તો કોઈ ઓટલો

જે આવે છે તે
ઘંટ ખખડાવી ને મારા 
કાન કોતરે છે...

હું કોઈનું કામ નથી કરતો
તો મારા પરની શ્રદ્ધા 
ઘટી જાય છે...

કોઈનું કામ થઈ જાય છે
તો મને મહાભોગ ચડે છે

વરસાદ નથી આવતો
તો યજ્ઞ થાય છે

આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને 
કહેવાય છે....

પણ સાચું કહું
હું  કૈં નથી કરતો

નથી હું પરણાવતો
કે નથી કોઈ નું છૂટું કરતો

જંગલ હું નથી કાપતો

હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં

અમીર હું નથી કરતો

ગરીબી મેં નથી આપી

તમને લીલીછમ પૃથ્વી 
આપી રહેવા માટે
એની તમે રાખ કરો તો
એમાં મારો શો વાંક....?

મેં અણુ આપ્યો
ને તમે બૉમ્બ બનાવ્યો
પછી કહો કે
શાંતિ વાર્તા કરો
તો કેવી રીતે કરું....?

સાચું કહો
તમે મને
ઈશ્વર માનો છો કે 
નોકર...?

પ્રાર્થનાની આડમાં
તમે આજ્ઞાઓ જ કરો 
છો....કે બીજું કૈં....?

ને તમે ઈચ્છો છો કે
તમે સેવા કરો છો છતાં પણ
હું કોઈનું સાંભળતો નથી....?

હું મેરેજ બ્યુરો નથી ચલાવતો
કે નથી ચલાવતો
કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ

મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે
કોઈ પાસે થી કૈં જોઇતું

શ્રીફળ વધેરી અને
મને વધેરવાનું રહેવા દો તમે

આપવાનું હતું તે આપ્યું જ છે

હવે મારી પાસે કૈં નથી
કૃપા કરી ને
હવે કૈં માંગી અને
મને શરમાવશો નહી...
                                               
તમારું કામ થઈ જશે એમ કહેનાર
મારા કોઈ
સહાયક કે કમિશન એજન્ટો
મેં નિમેલા નથી         
માટે તેવા લોકો થી બચો 
                                                                 
તમે આજ સુધી
ઘણી પ્રાર્થનાઓ કરી
પણ
આજે હું તમને
એક પ્રાર્થના કરું છું

અને એ પણ જાણું છું
હું જે કહું છું એ પછી કોઈ
મારી પાસે મંદિરમાં આવવાનું
નથી....

તોય કહું છું....

કોઈ માંગણી ન હોય
તો જ... 
મારી પાસે આવજો

અને હા....
છેલ્લે છેલ્લે એટલું જ 
કહીશ કે

તમારા કર્મ પર ધ્યાન આપજો
 
મારી વ્યથાને અનુભવજો
એવી આશા સાથે....
શબ્દો ને વિરામ આપુ છું.... 

આ બધું કર્મ નું ચક્ર છે. કર્મ ફળ આપ્યા વગર રહે જ નઈ.

જેવા કર્મ કરશો તેવું ભોગવશો....

 લી. તમારો પણ તમારાથી થાકેલો પ્રભુ